.
.
ટેરવામાં ફૂટતી કૂંપળ હશે તો ક્યાં જશો ?
સંઘરેલી ભીતરે ઝાકળ હશે તો ક્યાં જશો ?
સાત સાગર આપ છોડીને જવાના દૂર પણ;
પાંસળી વચ્ચે નદી ખળખળ હશે તો ક્યાં જશો ?
ઓળખીતો એક છે માણસ ફક્ત તે શહેરમાં;
બારણે તેના અગર સાંકળ હશે તો ક્યાં જશો ?
સત્યના રસ્તા ઉપર તો આપ કેવળ એકલા;
આપની ચારે તરફ જો છળ હશે તો ક્યાં જશો ?
આ કુહાડીથી તમે કાપી શકો છો ઝાડ પણ;
કાળજામાં ઊગતો બાવળ હશે તો ક્યાં જશો ?
જ્યાં જવાના આપ ત્યાં પાછળ ભલે આવે નહીં
એક ડગલું આ ગઝલ આગળ હશે તો ક્યાં જશો ?
.
.
-જિજ્ઞેશ વાળા
સાત સાગર આપ છોડીને જવાના દૂર પણ;
પાંસળી વચ્ચે નદી ખળખળ હશે તો ક્યાં જશો ?…..આ પંક્તિ તારા માટે છે
અને..
સત્યના રસ્તા ઉપર તો આપ કેવળ એકલા;
આપની ચારે તરફ જો છળ હશે તો ક્યાં જશો ?…..આ પંક્તિ મારા માટે છે.
સરસ ગઝલ.